વનાંચલ

જયન્ત પાઠક

‘વનાંચલ’ જયન્ત પાઠકની વતનવિચ્છેદની સ્મૃતિકથા છે. ગુજરાતી સાહિત્યની એ અપૂર્વ સંસ્મરણકથા છે. શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે વતનપ્રીતિનો પ્રબળ ઉદ્રેક એમાં પ્રગટ્યો છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગર સંસ્કૃતિનું આક્રમણ, લેખકના શિશુવયના સાથીઓ — આ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે.


જે ધરતીમાં પોતે જન્મ્યા-ઊછર્યા તેનું જ એક અભિન્ન અંગ હોવાની અનુભૂતિ અને એ રીતે પોતાની વાત મૂકવાની રીતિથી ‘વનાંચલ’ અન્ય આત્મકથાઓથી જુદું તરી આવે છે. આટલી નિબિડ વન-વતનપ્રીતિ ગુજરાતી સાહિત્યમાં અદ્યાપિ પ્રગટી નથી. કૃતિ અનેક અર્થમાં અનન્ય છે. એનું કાવ્યમય ગદ્ય, ઝીણી-મોટી ઘટના-મનોઘટનાઓથી સભર સ્મૃતિના અંકોડા સાથે ગૂંથાતું રહેતું ધૂલિધૂસર ગ્રામજીવનનું સૂત્ર, ઊઘડતો જતો વન્ય સૃષ્ટિનો લીલામય રૂપરાશિ અને એ સકળમાં એકાકાર વિસ્મય છલકતા સંવેદનપટુ બાળક બચુની નિર્દોષ-નિર્મળ પ્રતિમા — આ તમામ એક અવિસ્મરણીય વિસ્મયજનક આબોહવા વચ્ચે ભાવકને મૂકી આપે છે અને તેની ચેતનાને અસલ ધરતીની સોડમથી તરબતર કરે છે.

—દક્ષા વ્યાસ

જયન્ત પાઠક

જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ.


કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.

—દક્ષા વ્યાસ