શાલભંજિકા

ભોળાભાઈ પટેલ

‘શાલભંજિકા’, એક હાથે વૃક્ષની ડાળી સાહીને દેહયષ્ટિના કમનીય વળાંકે ઊભેલી નારીનું શિલ્પ. આવો રંગદર્શી લય આ પુસ્તકના લેખોનો પણ છે.
 
લેખો વિવિધ રૂપે વિલસે છે. ‘ખંડિયેરમાં હજાર વર્ષની પ્રેમકવિતા’ વાર્તાસરખો છે : ‘ખંડહર’ ફિલ્મની સ્મૃતિ અને પ્રવાસનું વાસ્તવ એમાં સમાન્તરે વહે છે; ‘ભલે આ નદીનું નામ...’ તો એક વિલક્ષણ પ્રવાસ-કથનમાં વણાયેલી નરી વાર્તા જ છે જાણે! ‘ઝર ઝર ઝર વારિ ઝરે છે’ વર્ષાના અનુભવને અનેક સ્મરણોની તદ્રૂપતાથી આલેખતો, સુરેશ જોશીની કોટિનો લલિત નિબંધ છે — અલબત્ત, એના પર મુદ્રા ભોળાભાઈની પોતાની છે. આ પુસ્તકના નિબંધોમાં લિરિકલ ટોન — ઊર્મિસૂર — ઉપર તરી આવેલો છે એ વાચકને માટે આસ્વાદ્ય બની રહેશે.
 
સ્થળસૌંદર્યનું આલેખન તો ભોળાભાઈમાં અચૂક હોવાનું. અહીં ‘ગ્રાન્ડ કેન્યન’ પણ છે ને ‘પાષાણસુંદરી’ પણ છે. એમાં રસાસ્વાદ સાથે કલાપારખુ તુલના પણ છે. લેખક કહે છે, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય નગ્ન-શિલ્પોના સૌંદર્યમાં એક પાયાની ભિન્નતા છે — આદર્શીકરણની અને નર્યા વાસ્તવની. કહે છે : ‘રાણીની વાવની પાષાણસુંદરી પાસે વિનસને મૂકી જોઈએ...’
 
અહીં બે ચરિત્રનિબંધો પણ છે : એક છે, ‘શબ્દના પારેખ’ નગીનદાસ વિશેનો ને બીજો નાની વયે મૃત્યુ પામેલા એક ઉત્તમ અધ્યાપક ‘એક વંટોળ નામે ડિરોઝિયો’ વિશેનો.
 
આવા વિવિધ સ્વાદ લેવા પ્રવેશીએ — ‘શાલભંજિકા’માં...

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)