સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
પ્રવીણ કુકડિયા : સંપાદક
વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક છે. ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં નવલરામ પંડ્યાથી શરૂ કરી પછીના તરતના માત્ર વિવેચનને જ લક્ષ્ય કરીને પોતાની આખી જિંદગી સમર્પિત કરનારા બે સમર્થ વિવેચકો જહાંગીર એદલજી સંજાના અને વિશ્વનાથ મ. ભટ્ટ એમ બે સમકાલીન વિવેચકોનાં નામ એક સાથે લેવાં પડે તેમ છે. એમાંય વિશ્વનાથ મ. ભટ્ટને એમના એક પુસ્તક ‘પૂજા અને પરીક્ષા’ શીર્ષકની વિલક્ષણતાને કારણે વિશેષ યાદ કરવા પડે તેમ છે. આ દ્વારા એમણે વિવેચકની કાર્યરીતિ અને ફરજ બંને તરફ એક સાથે અંગુલીનિર્દેશ કરી આપ્યો છે. એમના મતે વિવેચકે સાહિત્યકૃતિની પહેલા તો પૂજા કરવાની છે અર્થાત્ વિવેચકે પહેલા તો ભાવકોત્ત્મ બનવાનું છે અને કલાકૃતિનો સહ્રદયતાથી આસ્વાદ કરવાનો છે. ત્યાર બાદ એને કલાકૃતિ વિષે જે કહેવું કહેવું હોય સકારાત્મક–નકારાત્મક, પ્રતિપોષક કહેવાની છૂટ છે. વિવેચકે બીજી બધી બાબતોને એક બાજુ મૂકીને પ્રથમ કલાકૃતિને કલાકૃતિ તરીકે જોવાની છે. આ વાત એમના વિવેચનનો મુખ્ય આધાર છે.
અહીં પસંદ કરેલા લેખોમાં વિવેચકની આ વિશેષતા જરૂર નજરે પડે છે. એમના સિદ્ધાંતલેખોની ધાટી પણ આજ થીમ પર કામ કરે છે. મને પ્રાપ્ય એમનું પુસ્તક ‘વિવેચનકલા’માંથી અમુક લેખો પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા યશવંત શુક્લ અને સાવિત્રી ભટ્ટ દ્વારા સંપાદિત ‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પુસ્તકમાંથી અધિકતર લેખો અહીં સમાવવામાં આવેલ છે. ‘સમગ્રમાંથી સઘન વિવેચનશ્રેણી’ ના પુસ્તકમાળખામાં વિજાણું માધ્યમમાં પુસ્તક વાંચનારને સરળતા રહે એ ખાતર પાદટીપ જે-તે જગ્યાએ જ આપવાની રીતિ સ્વીકારેલ છે, પરંતુ આ વિવેચકના અધિકતર લેખોમાં લાંબી-લાંબી પાદનોંધો હોવાના કારણે ક્યારેક અરધા કે આખા પાનાની નોંધ જે-તે જગ્યાએ સમાવવા જતાં મૂળ વાતનો તંતુ ફરીથી સાધવો મુશ્કેલ થઈ પડતો તેથી શ્રેણી સંપાદકની અનુમતિ લઈ અહીં પાદક્રમાંક જે-તે જગ્યાએ લાલ અક્ષરમાં રાખી પાદનોંધો લેખને અંતે સમાવી છે.
વિશ્વનાથ મ. ભટ્ટના વિવેચનાના પ્રતિનિધિ લેખો અહીં સમાવેલ હોઈ, ગુજરાતી સાહિત્ય લઈને ભણનારા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ, ભણાવનારા શિક્ષકો અને અધ્યાપકો, સંશોધકોને ગુજરાતી સાહિત્યના એક પ્રતિનિધિ વિવેચકની વિવેચનાનો આલેખ અહીં સાંપડશે. અહીં જોડણી મૂળ પ્રમાણે રાખી છે, અને લેખને અંતે આપેલ સાલ જે મૂળ લેખને અંતે હતી તેમ સવંત મુજબ યથાવત રાખી છે.
– પ્રવીણ કુકડિયા
પ્રવીણ કુકડિયા : સંપાદક

સાહિત્ય અને શિક્ષણ એમ ઉભયક્ષેત્રે અધિકારપૂર્વક કલમ ચલાવનાર પ્રવીણ કુકડિયા (૧૯૭૭) પ્રતિબદ્ધતા અને અભ્યાસનિષ્ઠા સાથે કામ કરનારા શિક્ષક છે. હાલ સર્વોદય હાઇસ્કૂલ, ઉમરાળા (જિ. ભાવનગર)માં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે તે કાર્યરત છે. એ અભ્યાસકાળથી અને એ પછી શાળાશિક્ષણ સાથેસાથે પોતાનું અભ્યાસતપ સતત વધારતા રહ્યા છે. તેમની શિક્ષક તરીકેની સજ્જતાનો લાભ માતૃભાષા અભિયાન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી કમિશન (CBSC) દિલ્હીને મળતો રહ્યો છે.
એમણે સાહિત્યક્ષેત્રે શુદ્ધ કળાકીય રસ-રુચિ કેળવ્યાં છે ને વિવેચક તેમજ સૂચિકાર તરીકે નામના મેળવી છે. અવારનવાર તેમના વિવેચન-લેખો, શિક્ષણવિષયક લેખો તે તે ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતા રહે છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને ઝીણી દૃષ્ટિનાં દર્શન થાય છે. એમણે આપણા પ્રસિદ્ધ વિવેચન-સામયિક ‘પ્રત્યક્ષ’ના બધા જ – ૧૦૧ અંકોની શાસ્ત્રીય વર્ગીકૃત સૂચિ કરી છે. ‘અવલોક્ય’ (૨૦૨૧) એમનો પહેલો વિવેચનસંગ્રહ છે. એમાં એમની આગવી સૂઝ-સમજવાળું આકરું પણ સમતોલ કૃતિવિવેચન આપણને પ્રાપ્ત થાય છે. આવા વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યના સ્થગિત લાગતા સમીક્ષાપ્રવાહને ધબકતો કરવા તરફનો ઝોક દેખાઈ આવે છે. કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા એમના ‘સા વિદ્યા યા...’ (૨૦૨૧) પુસ્તકમાં પ્રતિબિંબિત થઈ છે.
આવા સંનિષ્ઠ અભ્યાસીનો રસ હવે મધ્યકાળના સાહિત્ય પરત્વે ઠર્યો છે ત્યારે એમની પાસેથી મધ્યકાળના સાહિત્યનો કોઈ સમગ્રલક્ષી સર્વગ્રાહી અને મૌલિક અભ્યાસ મળે તેવી અપેક્ષા...
– જયંત ડાંગોદરા