સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત
પ્રવીણ કુકડિયા : સંપાદક
સર્જકપ્રતિભા હોવા છતાં સાહિત્યના હિતમાં એક આપદધર્મ તરીકે વિવેચનને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર વિવેચક, સંશોધક સંપાદક લાભશંકર પુરોહિતના વિવેચનકાર્યની લેવી જોઈએ તેટલી નોંધ ગુજરાતી સાહિત્યજગતે લીધી નથી. સાઠ વર્ષની સુદીર્ઘ, અભ્યાસરત કારકિર્દીમાં એમણે માત્ર ચાર વિવેચનસંગ્રહ આપ્યા છે.
અહીં પસંદ કરેલા એમનાં મોટાં ભાગનાં લખાણો કોઈને કોઈ નિમિત્તે લખાયેલાં હોઈ, એમાં એક પ્રકારની અભ્યાસલક્ષી શિસ્તનાં દર્શન થવાનાં. એ જે વિષયને અનુલક્ષીને લખે છે તેને ઊંડાણથી સ્પર્શે છે. પૂરતાં પ્રમાણો આપી અભ્યાસ-વિષયને પૂરેપૂરી નિષ્ઠાથી આવરે એ પહેલાં પોતાને જે વાત કરવી છે એની આછી રૂપરેખા અભ્યાસી સામે મૂકી આપવાની રીતિ આકર્ષક છે.
એમને આપણું પ્રાચીન સાહિત્ય, મધ્યકાળનું સાહિત્ય એની સમાંતરે ચાલતું શ્રવણધર્મી લોકસાહિત્ય વધારે આકર્ષે છે. મુદ્રણયંત્રોની શોધ અને અંગ્રેજી કેળવણીના પ્રભાવે આ સાહિત્યોમાં રહેલાં વિત્તની આપણે લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી એવો વસવસો એમના લેખોમાં મળશે. એમનાં લખાણો અમુક વણખેડાયેલા અને વિદ્વાનો દ્વારા ઉપેક્ષા પામેલા વિષયોને પોતાના વિષયવર્તુળમાં લે છે. અહીં પાડેલા પાંચેય વિભાગોમાંથી આપને આવા વિષયો પર લખાણો મળી રહેશે.
‘ચર્ચા- વિચારણા’ વિભાગતળે મૂકેલા ત્રણ લેખો નવવિવેચકો અને સંશોધકોને સંશોધનના નવીન રસ્તાઓ બતાવે તેવા છે. આ સંપાદનમાં સમાવાયેલો યયાતિ વિશેનો લેખ એમની આવી શોધ-ખાંખતનાં દર્શન કરાવે એવો છે.
– પ્રવીણ કુકડિયા
પ્રવીણ કુકડિયા : સંપાદક

સાહિત્ય અને શિક્ષણ એમ ઉભયક્ષેત્રે અધિકારપૂર્વક કલમ ચલાવનાર પ્રવીણ કુકડિયા (૧૯૭૭) પ્રતિબદ્ધતા અને અભ્યાસનિષ્ઠા સાથે કામ કરનારા શિક્ષક છે. હાલ સર્વોદય હાઇસ્કૂલ, ઉમરાળા (જિ. ભાવનગર)માં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે તે કાર્યરત છે. એ અભ્યાસકાળથી અને એ પછી શાળાશિક્ષણ સાથેસાથે પોતાનું અભ્યાસતપ સતત વધારતા રહ્યા છે. તેમની શિક્ષક તરીકેની સજ્જતાનો લાભ માતૃભાષા અભિયાન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી કમિશન (CBSC) દિલ્હીને મળતો રહ્યો છે.
એમણે સાહિત્યક્ષેત્રે શુદ્ધ કળાકીય રસ-રુચિ કેળવ્યાં છે ને વિવેચક તેમજ સૂચિકાર તરીકે નામના મેળવી છે. અવારનવાર તેમના વિવેચન-લેખો, શિક્ષણવિષયક લેખો તે તે ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતા રહે છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને ઝીણી દૃષ્ટિનાં દર્શન થાય છે. એમણે આપણા પ્રસિદ્ધ વિવેચન-સામયિક ‘પ્રત્યક્ષ’ના બધા જ – ૧૦૧ અંકોની શાસ્ત્રીય વર્ગીકૃત સૂચિ કરી છે. ‘અવલોક્ય’ (૨૦૨૧) એમનો પહેલો વિવેચનસંગ્રહ છે. એમાં એમની આગવી સૂઝ-સમજવાળું આકરું પણ સમતોલ કૃતિવિવેચન આપણને પ્રાપ્ત થાય છે. આવા વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યના સ્થગિત લાગતા સમીક્ષાપ્રવાહને ધબકતો કરવા તરફનો ઝોક દેખાઈ આવે છે. કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા એમના ‘સા વિદ્યા યા...’ (૨૦૨૧) પુસ્તકમાં પ્રતિબિંબિત થઈ છે.
આવા સંનિષ્ઠ અભ્યાસીનો રસ હવે મધ્યકાળના સાહિત્ય પરત્વે ઠર્યો છે ત્યારે એમની પાસેથી મધ્યકાળના સાહિત્યનો કોઈ સમગ્રલક્ષી સર્વગ્રાહી અને મૌલિક અભ્યાસ મળે તેવી અપેક્ષા...
– જયંત ડાંગોદરા