પૂર્વોત્તર

ભોળાભાઈ પટેલ

સાહિત્ય અકાદેમીના પ્રવાસ-અનુદાનથી શ્રી ભોળાભાઈ પટેલે ભારતનાં ઉત્તર-પૂર્વ રાજ્યોનો પ્રવાસ કરેલો એના ખૂબ જ સંતર્પક અને રસપ્રદ અનુભવો આ પુસ્તકમાં રોજનિશીના – રોજેરોજની ડાયરીના રૂપમાં લખાયેલા છે. ઓડિયા, કલકત્તા(બંગાળ), ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ, મેઘાલય, અસમ-માં લેખકમિલનો, ત્યાંનાં ભાષા-સાહિત્યનો આસ્વાદ-પરિચય એ પ્રાથમિક કર્તવ્ય પણ અહીં ખૂબ જીવંતતાથી આલેખાયું છે. એ ઉપરાંત લેખકે આ પ્રકૃતિસુંદર પ્રદેશોને એક નિસર્ગપ્રેમીની દૃષ્ટિથી માણ્યા છે એનાં સર્જનાત્મક વર્ણનો વાચકને રસ-તરબોળ કરી દે છે. વળી, પ્રકૃતિ-આલેખન આગળ એ અટક્યા નથી – તે તે પ્રદેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો રસભર્યો પરિચય પણ એ કરાવતા જાય છે. પ્રવાસી તરીકેની વિસ્મયવૃત્તિ, સાહસવૃત્તિ અને જિજ્ઞાસા અહીં હંમેશાં સતેજ રહી છે. એથી પ્રવાસ દરમ્યાન આ બધાં સ્થાનોનો ભરપૂર આનંદ લેખકે લીધો છે ને એની લ્હાણી કરી છે. એક સિદ્ધહસ્ત લલિત નિબંધકાર તરીકે ભોળાભાઈની લખાવટ એવી છે કે જાણે આપણે પણ એમની સાથે સાથે પ્રવાસ કરતાં હોઈએ એવો અનુભવ થાય.

એમના એવા સર્જક વ્યક્તિત્વનો અનુભવ લેવા હવે પુસ્તકમાં જ પ્રવેશીએ…

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)