જયદેવ શુક્લની કવિતા
રાજેશ પંડ્યા : સંપાદક
જયદેવ શુક્લ જ્યારે કાવ્યલેખનનો આરંભ કરે છે ત્યારે ગુજરાતી કવિતામાં આધુનિકતાનું વર્ચસ્વ હતું. આધુનિક ગુજરાતી કવિતાનાં ઘણાં મહત્ત્વનાં પરિમાણો પણ સિદ્ધ થઈ ચૂક્યાં હતાં. એટલે એ નવ કવિઓ સામે સર્જનાત્મક ઉન્મેષો દાખવવાના મોટા પડકારો હતા. જયદેવ શુક્લે આ પડકાર પોતાની રીતે ઝીલીને આધુનિકતાનો વિસ્તાર કર્યો. એ દૃષ્ટિએ ‘પ્રાથમ્ય’ની કવિતા ઘણી વિલક્ષણ એ વિશિષ્ટ પૂરવાર થઈ.
‘પ્રાથમ્ય’ ચાર જુદા જુદા કેન્દ્રોથી રચાતી કવિતાનો સંચય છે. પ્રકૃતિ માટેનું આકર્ષણ, તીવ્ર રતિઝંખના, લલિતકળાઓના સંદર્ભો અને સ્વ-ઇતિહાસ જેવાં ચાર મુખ્ય કેન્દ્રોની આસપાસ રચાતી ‘પ્રાથમ્ય’ની કવિતા તેમાંની સંવેદનશીલતા અને ઇન્દ્રિય સંતર્પકતાને લીધે પ્રભાવક બની છે.
રાજેશ પંડ્યા : સંપાદક
રાજેશ પંડ્યા [ઈ. ૧૯૬૫] ગુજરાતી કવિ છે અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરે છે. કવિતા ઉપરાંત સમકાલીન કાવ્યવિવેચન અને મધ્યકાલીન સાહિત્ય વિષયક લેખન-સંશોધન પણ એમણે કર્યું છે.
રાજેશ પંડ્યાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પૃથ્વીને આ છેડે’ [ઈ. ૨૦૦૧] સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રગટ થયો હતો. આ સંગ્રહનાં કાવ્યો તાજગીસભર કલ્પનો અને અછાંદસ ભાષાભાતો વડે અસરકારક બન્યાં છે. ‘બોધિવૃક્ષ’ અને ‘રાત્રિ’ જેવા કાવ્યગુચ્છમાં એમની સર્જકતાનો વિશેષ પરિચય મળે છે. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું.
પ્રથમ સંગ્રહ પછી રાજેશ પંડ્યાની કવિતા સમસામયિક સંદર્ભોનાં અનેકવિધ કાવ્યરૂપો પ્રગટાવે છે. એમનાં પાણી અને ઝાડનાં ગીતકાવ્યો તથા ‘સુવર્ણમૃગ’ અને ‘ખાંડવદહન’ જેવાં દીર્ઘકાવ્યો ગુજરાતી ભાષાના એક અણજાણ કાવ્યપ્રદેશનો પ્રવાસ કરાવે છે. આ બંને કૃતિઓ હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણે છે. ‘સુવર્ણમૃગ’ તો અગાઉ ભાવનગર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ નિયત થયું હતું. વિધવિધ કાવ્યસર્જન માટે એમને ‘મહાકવિ ન્હાનાલાલ પારિતોષિક’ [‘ભૂકંપ’ કાવ્યો માટે ઈ. ૨૦૦૧]; ‘કવિ ઉશનસ્ પારિતોષિક’ [‘સમુદ્ર’ કાવ્યગુચ્છ માટે ઈ. ૨૦૦૮] અને ‘શિશુવિહાર કવિસન્માન’ [ઈ. ૨૦૨૦] પ્રાપ્ત થયાં છે. એમનાં કાવ્યોનો હિન્દી, મરાઠી, અસમી, સિંધી, સંસ્કૃત, અંગ્રેજી અને આઇરીશ જેવી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.
કાવ્યવિવેચનક્ષેત્રે પણ રાજેશ પંડ્યાનું આગવું પ્રદાન છે. કાવ્યનાં સૌંદર્યસ્થાનોને પ્રત્યક્ષ કરાવતી આસ્વાદશૈલી, સઘન સ્વાધ્યાય અને મૌલિક નિરીક્ષણો તેમનાં વિવેચનનો વિશેષ છે. પ્રથમ વિવેચનસંગ્રહ ‘નિમિત્ત’ માટે એમને ‘શ્રી પ્રમોદકુમાર પટેલ યુવા વિવેચક પારિતોષિક’ [ઈ. ૨૦૦૪] અને ‘મહાભારતની લોકપરંપરાનાં કથાનકો’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર [ઈ. ૨૦૦૭] મળ્યાં હતાં. જ્યારે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ-સંશોધન માટે તેમને શ્રી દિનકર જોશી ‘અખંડ આનંદ’ પુરસ્કાર [ઈ. ૨૦૧૮] અને મુનિશ્રી પુણ્યવિજયજી ચન્દ્રક [ઈ. ૨૦૨૧] પ્રાપ્ત થયાં છે.
છેલ્લાં પંદરેક વરસોમાં એમનાં સોએક જેટલાં કાવ્યો અને લગભગ એટલાં જ વિવેચનલેખો પ્રકાશિત થયાં છે. ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૯’ અને ‘મધ્યકાલીન કવિઓ’ [૨૦૨૧, ગુજરાતી સાહિત્ય પરિષદ]; ‘ગીત અમે ગોત્યાં’ [સહસંપાદન, ૨૦૧૭], ‘રમેશ પારેખ’ [લઘુગ્રંથ, સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૧૮]; ‘સુધારકયુગનું સાહિત્ય વિવેચન’ [ઈ. ૨૦૧૮]; ‘કાવ્યવિશેષ : નિરંજન ભગત’ [ઈ. ૨૦૧૯] એમનાં અન્ય પુસ્તકો છે.
ગુજરાતી કવિતા અને ગુજરાતી વિવેચનમાં રાજેશ પંડ્યાએ પોતાનો નિજી અવાજ સ્થિર કર્યો છે.
– મહેન્દ્રસિંહ પરમાર