જનપદ

કાનજી પટેલ

આજના કવિ તરીકે તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી તરીકે કાનજી પટેલ અનુઆધુનિક વિદગ્ધ જરૂર છે પરંતુ એમની વ્યક્તિચેતના અને સર્જકચેતના જનપદ તેમજ વનપદના ભીતરી સ્પર્શવાળી છે – નિબિડ અને તપ્ત સંવેદનવાળી છે. ‘જનપદ’માં વનવાસીનો તીક્ષણ અને પ્રબળ સૂર છે. વન–પર્વત–નદી–પંખી–માટી–વૃક્ષ એ તત્ત્વોની નિકટતાનો એમનો આનંદ અંદર ઘુંટાયેલો રહે છે ને એ વન-જન-પ્રકૃતિ પરના શહેરી આક્રમણથી નીપજેલો આક્રોશ વેદનાનું કાવ્યરૂપ ધારણ કરે છે.

કાનજી પટેલનો ટેમ્પરામેન્ટ–કવિમિજાજ તળના વાસ્તવને કલ્પનોથી આકાર આપનાર વિલક્ષણ સર્જકનો મિજાજ છે. સૂરજ અને ચંદ્ર, રાત્રિ અને તારામઢ્યું આકાશ, જંગલની અડાબીડતા અને ધરતીની સઘન ગંધ, ઝરણાની સાથે, ઝરણની જેમ જ, વહેતા–સરકતા સર્પ, જનપદની જીવનરીતિઓ – એ બધું રંગદર્શી અસબાબ રૂપે તો દેખાતું નથી, એક સંદિગ્ધ છતાં પ્રબળ ઇન્દ્રિય – સંવેદ્યતાથી તેમજ મૂળની સમજથી કાવ્યતત્વ પ્રગટાવે છે. એટલે બને કે કાનજીની કવિતામાંથી પસાર થતાં પહેલીવાર ઘણું અધ્યાહાર રહી જતું લાગે – પરંતુ એમાંથી ફરીફરીને પસાર થતાં અંદર ખેંચી લેતી પરિચિતતાની સન્મુખ પણ આપણે થઇ શકીએ.

એક બાબત તો પહેલા વાચનથી જ ભાવકને પકડી શકે છે – જનને પણ વનનો અંશ કરી રાખતું એનું વાતાવરણ, અનેક પડોમાં ઇન્દ્રિયબોધ આપતી પ્રકૃતિ.

‘જનપદ’માં, આ રીતે થનારો આપણો પ્રવેશ જરૂર વિસ્મયભર્યો બનશે.

—રમણ સોની

કાનજી પટેલ

કાનજી પટેલ (જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત.

ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી ‘જનપદ’, ‘ડુંગરદેવ’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ‘ધરતીનાં વચન’ અને ‘દેશ’માં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ અરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે ‘કોતરની ધાર પર’, ‘દ્વાસુપર્ણા’, ‘ડહેલું’, ‘ભીલની ભોંય’ જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. ‘કોતરની ધાર પર’ની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ‘ડેરો’ નામે સંગ્રહિત છે.

ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે.

લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૧ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો. ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગરહવેલીની ભાષાઓનાં સર્વેક્ષણનો ગ્રંથ તેમણે સંપાદિત કર્યો છે.

આ સર્જકને નવરોઝ સંસ્થા પુરસ્કાર, ‘ડેરો’ને ઉત્તમ વાર્તા પુરસ્કાર, ‘મધપૂડો’ જેવી વાર્તા માટે રાષ્ટ્રીય સ્તરનો કથા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ધૂમકેતુ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

—કિશોર વ્યાસ