ગુજરાતી નિબંધસંપદા
મણિલાલ હ. પટેલ
ગુજરાતી નિબંધને એકસો સિત્તેર-બોતેર (૧૮૪૯થી ૨૦૨૦) વર્ષ થયાં. એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલે મને, આપણા ગુજરાતી નિબંધના આશરે પોણા બસો વર્ષના ગાળામાં પ્રકાશિત થયેલા નિબંધોમાંથી, ભાવકોને તથા એમનાં રસરુચિને ધ્યાનમાં રાખીને બની શકે એટલા સારા નિબંધો પસંદ કરવાનું કામ સોંપ્યું હતું.
અહીં વિચાર અને ચિંતનપ્રધાન નિબંધો સાથે કેટલાક ચરિત્રનિબંધો પણ પસંદ કર્યા છે. વળી પ્રવાસ અને હાસ્યનિબંધો પણ પોતાના હક્કથી જગ્યા બનાવીને બેસી ગયા છે. સવિશેષ તો લલિત નિબંધોએ પોતાની જમાવટ કરી છે.
વિષયવૈવિધ્ય, અભિવ્યક્તિની છટાઓ તથા ગુજરાતી ગદ્યની સમૃદ્ધિનો પરિચય કરાવતા ગુજરાતી નિબંધોનું આ ડિજિટલ સંપાદન ભાવકોને સદાકાળ રીઝવશે એમાં બેમત નથી.
આ તબક્કે નિબંધકારોનો તથા એકત્ર ફાઉન્ડેશનની ટીમનો આભાર માનું છું.
— મણિલાલ હ. પટેલ
સંપાદક
ગુજરાતી નિબંધ-સંપદા
મણિલાલ હ. પટેલ

મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.