યુરોપ-અનુભવ

ભોળાભાઈ પટેલ

લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે. 
 
યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ: 
‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.’
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)