દૃશ્યાવલી

ભોળાભાઈ પટેલ

પુસ્તકમાં લાંબાં ભ્રમણવૃત્તોને બદલે ટૂંકાં પ્રવાસકથનો છે એ લલિત નિબંધનો પણ એક વિશેષ આહ્લાદ આપે છે.
 
હિમાલયની એક વિશિષ્ટિ ગિરિમાળા કૂર્માંચલ (કુમાઉ)નાં વિવિધ સ્થાનકો – નૈનિતાલ, રાનીખેત, બિનસર, કૌસાનીના આનંદવિહારોને લેખકની સૌંદર્યદૃષ્ટિ ઉલ્લાસથી આલેખે છે. ત્યાં એક શિખર સૂર્યોદય માટે જાણીતું છે. લેખક નિબંધને શીર્ષક આપે છે : ‘હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી’! સૂર્યના ઉદયની ક્ષણોનું આલેખન કરતાં લખે છે –પૂર્વની એક પહાડી પાછળથી સૂર્ય ડોકાયો.. પછી લખે છે – શિખરો પરથી પ્રકાશ ઢાળ પર પણ ઊતરે છે. સૌંદર્ય દર્શનની આ આખી વળાંકરેખા (કર્વ) બહુ આસ્વાદ્ય છે.
 
પ્રવાસનાં સ્થળોનું ફલક કેટલું તો મોટું છે – કુમાઉના પહાડોથી કોઈમ્બતુર સુધી, કલકત્તાથી ખેડબ્રહ્મા સુધી, ચિત્તોડગઢથી (દેશ કૂદી જઈને) જર્મનીની રોમન્ટિક સિટી હાઈડેલબર્ગ સુધી!
લેખકને તે તે સ્થળે ફરતાં સાહિત્યસ્વામીઓ અચૂક યાદ આવ્યા છે! – કૌસાનીમાં સ્વામી આનંદ, રોમમાં કીટ્સ, હાઈડેલબર્ગમાં કવિ ગેટે…
 
પુસ્તકનો પાછલો ભાગ અમેરિકા-પ્રવાસને નિરૂપે છે. ત્યાંનાં નાયગરા અને ગ્રાણ્ડ કેન્યાન જેવાં વિખ્યાત સ્થાનોની સાથે વેસ્તાલ અને દેન્દૂર જેવાં અલ્પપરિચિત સ્થળોને પણ એમણે પોતાની વિસ્મયદૃષ્ટિથી અજવાળ્યાં છે.
 
લાસ વેગાસનાં ભવ્ય જુગારથાનકો જોઈને ભોળાભાઈને આપણા યુધિષ્ઠિર યાદ આવી જાય છે એ કેવું રસપ્રદ છે!
 
તો આવા રસપ્રદ પુસ્તકમાં પ્રવેશવા સ્વાગત છે…

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)