ધર્મવિચાર

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886)

નર્મદની હયાતીમાં પ્રગટ થયેલું એનું આ છેલ્લું ગદ્યપુસ્તક છે. નર્મદની ઉત્તરાવસ્થામાં, એના વિચાર-પરિવર્તનને આલેખતા, મુખ્યત્વે ‘ગુજરાતી’ સામયિકમાં અને એક ‘આર્યજ્ઞાનવર્ધક’ સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો છે. ઇચ્છારામ દેસાઈએ એનું સંકલન કરીને એને ‘ધર્મવિચાર’ નામથી 1885માં ગ્રંથરૂપ આપ્યું.

સ્વભાવના તેમજ સુધારા વિશેના આવેગો ઓછા થતાં નર્મદ આંતરદર્શન કરે છે – આર્યધર્મ પ્રત્યે વળે છે. જે માણસ પ્રવૃત્તિ-સક્રિય હતો એ કંઈક અંશે પ્રારબ્ધવાદી બનતો જણાય છે. એની પાછળ સુધારા અને સુધારાવાદીઓની નિષ્ફળતા અને અમુક અંશે તો સુધારાની નિરર્થકતાની પ્રતીતિ પણ કારણભૂત બનેલી છે.

‘સુધારો અને સુધારાવાળા’ જેવા ચિકિત્સા કરતા લેખથી ‘સનાતન ધર્મ અને સામાજિક ધર્મ’ની ચર્ચા કરતા આ 7 દીર્ઘ લેખોમાં નર્મદની ધર્મપરાયણતા ક્યાંક ધર્મ-બોધરૂપે પણ વ્યક્ત થઈ છે. જેમ કે ધર્મજિજ્ઞાસા લેખ પ્રશ્નોત્તરી રૂપેમુકાયો છે તો કેટલાકમાં એની પૂર્વખ્યાત ઉદ્બોધનશૈલી પણ દેખાય છે. ક્યાંક તો લેખકની ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ અને ‘નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધા’ જેવી પ્રાચીન પરંપરા-નિષ્ઠતા પણ જણાય છે. વળી આ નિબંધોમાં થિયોસોફી, આર્યસમાજ, વગેરે વિચારસરણીઓ સાથે સ્પષ્ટ અસંમતિ દેખાય છે એથી કેટલાકને નર્મદની વૃદ્ધ-મનસ્થિતિ પણ એમાં જણાઈ છે.

પરંતુ, એની સાથે મતભેદ ધરાવનારને પણ આ નિબંધોમાં નર્મદની સ્પષ્ટતા, નિખાલસતા તો સ્પર્શી જાય એમ છે. એક નિબંધકાર તરીકે નર્મદની થોડીક વિલક્ષણ છતાં પૂર્વ મુદ્રા એમાં જરૂર દેખાશે.

એથી, આ લખાણોમાં પ્રવેશવું પણ રસપ્રદ નીવડશે.

– રમણ સોની

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886)

નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે : 1833-1886) ‘અર્વાચીનતા’નો પૂરો સ્પર્શ પામેલા ગુજરાતી સાહિત્યના પહેલા લેખક. જન્મ સુરતમાં. પણ પછી સમયેસમયે એમનું ભણવાનું સુરત ને મુંબઈ વચ્ચે વહેંચાયેલું રહ્યું. શિક્ષક તરીકે પણ સુરત-મુંબઈ રહ્યા. ઈ.1850માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા પણ અભ્યાસ પૂરો ન કર્યો. કોલેજમાં વર્ડઝવર્થની કવિતાથી આકર્ષાયા ને 1856 આસપાસથી કાવ્યલેખન શરૂ થયું. નવી અંગ્રેજી સંસ્કૃતિ ને સાહિત્ય-વિદ્યાના પ્રભાવે એ લેખક ઉપરાંત પત્રકાર અને સમાજસુધારક થયા – ‘ડાંડિયો’ સામયિકપત્ર ચલાવ્યું. એ નિમિત્તે ગુજરાતી ગદ્ય પણ ખેડાયું.


‘યા હોમ કરીને પડો..’ તથા ‘જય જય ગરવી ગુજરાત’ જેવાં કાવ્યોથી ને ‘મંડળી મળવાથી થતા લાભ’ જેવા વક્તવ્ય-નિબંધોથી બહુ-ખ્યાત બનેલા ને વીર નર્મદ તરીકે વધુ જાણીતા આ સર્જક-વિવેચક-વિચારક-સંશોધકનું ફલક ઘણું વિશાળ છે ને એમ ભાષા-સાહિત્યને એમનું પ્રદાન ખૂબ મોટું અને અવિસ્મરણીય છે.


‘નર્મકવિતા’(1864)માં એમની સમગ્ર કવિતા સંચિત થઈ છે અને ‘નર્મગદ્ય’(1865)માં એમનાં નિબંધાદિ સર્વ ગદ્ય-લખાણો છે. ‘મારી હકીકત’ નામે આત્મકથા 1866માં એમણે પોતાના પૂરતી જ છપાવેલી, જાહેર પ્રકાશિત ન કરેલી, એ એમના અવસાન પછી, ગુજરાતી પ્રેસે 1933માં પ્રગટ કરી. નર્મદનું સંશોધન-સંપાદન પણ બહોળું છે. અપ્રતિમ ઉત્સાહ અને શાસ્ત્રીય સમજવાળા અવિરત શ્રમથી એમણે ‘પંગિળપ્રવેશ’(1857), ‘નર્મકથાકોષ’(1870), 1861થી આરંભેલો ‘નર્મકોશ’(શબ્દકોશ,1873), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (1873) અને એવાં બીજાં અનેક મહત્ત્વનાં વિદ્યાકાર્યો કર્યાં. એ ઉપરાંત ‘રાજ્યરંગ’(1874-76)માં પ્રાચીન-અર્વાચીન ઇતિહાસનું આલેખન છે, ‘ધર્મવિચાર’(1885)માં ધર્મ અને શ્રદ્ધાની એમને નવી લાધેલી દૃષ્ટિને નિરૂપતા નિબંધો છે.

રામનારાયણ પાઠક જેવા આપણા ઉત્તમ વિવેચકે નર્મદને ‘અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા’ તરીકે ઓળખાવ્યા છે એ સર્વથા ઉચિત છે.


– રમણ સોની