ચિત્રકૂટના ઘાટ પર

ભોળાભાઈ પટેલ

પ્રકૃતિ-અનુરાગના કેટલાક ઊમિર્શીલ નિબંધો, વિચારપ્રેરક થોડાક પ્રાસાદિક રસાળ લેખો અને ઉત્તમ રુચિર ફિલ્મોનો પરિચય આપતા આસ્વાદ-લેખો આ પુસ્તકનું સુવાચ્ય રૂપ બાંધે છે.
 
‘નષ્ટનીડ’ આમ તો ટાગોરની ખ્યાત વાર્તા છે. પણ એ નામના નિબંધમાં, ઘર પાસેના લીમડા પર કોઈ કાગડા-કાગડીએ બાંધેલો માળો(નીડ) વરસાદના ઝંઝાવાત વચ્ચે ટકી રહ્યો છે, એમાં જીવ પરોવતા લેખક એક વાર અચાનક એને નષ્ટ થયેલો જોતાં તીણી વેદના અનુભવે છે એનું સહૃદય આલેખન છે. પારિજાત વિશે, પાનખર અને Fall વિશે, ‘મેઘપ્રિયા’ એવા બીજા નિબંધો છે.
 
સંસ્કૃતિ અને ગ્લોબલાઈઝેશન વિશે વિચારતંતુ રચતો ‘ગુડ મોર્નિંગ કે જયશ્રીકૃષ્ણ’ હોય કે ‘મરીને જીવી ગયા’ જેવો કરુણ વાસ્તવની વ્યથા કહેતો નિબંધ હોય, એમાં કોઈ તાત્ત્વિક ભાર વિનાની સહજ ગતિ છે. લેખક કહે છે એમ, આ લખાણો ‘કોઈ દાર્શનિકનું ચંતિન નથી, આ એક સામાન્ય નાગરિકને થતા સવાલો’ રૂપે નિરૂપણ પામ્યા છે.
 
ફિલ્મો વિશેના વિચારણીય અને આસ્વાદનીય નિબંધો આ પુસ્તકનું વિશેષ આકર્ષણ ઊભું કરે છે. ‘સાહિત્ય અને સિનેમા’ એ નામના એક પરિસંવાદની ચર્ચાઓનો મરમાળો અહેવાલ છે અને ‘પથેર પાંચાલી’, ‘ચારુલતા’, ‘રોજા’, વગેરે ફિલ્મો પરના નિબંધો મૂળને સાક્ષાત્ કરાવી આપતા સઘન-રસિક પરિચયો છે. ફિલ્મોત્સવમાં નિહાળેલી સાત ફિલ્મોની વાત કહેતો લેખ આ આસ્વાદ-પરિચયોમાં વૃદ્ધિ કરે છે.
 
તો, પ્રવેશો...

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)