ચૈતર ચમકે ચાંદની

ભોળાભાઈ પટેલ

અંગત ઊર્મિ-નિબંધ, પ્રવાસ-સંવેદનનો નિબંધ, ચરિત્રનિબંધ – એવું નિબંધ-વૈવિધ્ય આ સંગ્રહનું આકર્ષણ છે. નવી વાવેલી કરેણ પર પહેલું ફૂલ ખીલે છે ને કવિ કાલિદાસને યાદ કરીને ભોળાભાઈ કહે છે : ‘એ એની પ્રથમ કુસુમ-પ્રસૂતિ છે.’ પ્રકૃતિના આવા આહ્લાદક સૌંદર્યને નિરૂપતા નિબંધો સાથે અહીં પ્રવાસ-સ્થાનને સંવેદન-તદ્રૂપતાથી વાચક સામે સાક્ષાત્ કરતા નિબંધો પણ છે. હિન્દી કવિ સમશેર, બંગાળી કવિ જય ગોસ્વામી, ઉત્તમ નવલકથાકાર અને કર્મશીલ મહાશ્વેતાદેવીના પરિચયોનું એમનું સ્મરણ-કથન સરસ ચરિત્ર-આલેખન બની રહે છે. ‘અંતર્જલિ જાત્રા’ જેવી કેટલીક ફિલ્મો જોયાનો આનંદ પણ કેટલાક નિબંધોમાં, એના મામિર્ક આસ્વાદ સાથે, વ્યક્ત થયો છે. રુટિનના કંટાળામાંથી નીકળવાની એક ગૃહિણીના મનમાં જાગતી ઇચ્છાને ફૅન્ટસીથી આલેખતી એક બંગાળી વાર્તા ‘રાધા આજે નહીં રાંધે’નો આસ્વાદ-નિબંધ પણ રસપ્રદ છે.
 
લેખક માત્ર રંગદર્શી નિબંધો આપતા નથી, વિચાર-પ્રેરકતા પણ કેટલાક નિબંધોની વિશેષતા છે. ‘એક શોકપ્રશસ્તિ : તણખિયા તળાવની’ નિબંધ, પ્રકૃતિના નાશની સાથે પર્યાવરણનો પણ ધ્વંસ કરતી નગર-વૃત્તિને અપાર દુખની વેદના સાથે નિરૂપે છે ને વાચકોને વિચારતા કરી દે છે.
 
મનમાં વસી જાય એવો સર્વોત્તમ નિબંધ છે –‘કદંબ’ નામનો છેલ્લો નિબંધ.
 
આ નિબંધોમાં પસાર થવું સૌને ગમશે.

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)