બિપિન પટેલની વાર્તાઓ

કિરીટ દૂધાત : સંપાદક

બિપિન પટેલનો જન્મ ૧/૭/૧૯૫૩ના રોજ દેત્રોજ મુકામે થયો. પિતાજી ન્યૂ કોટન મિલમાં મિલ કામદાર હતા. જેને અનુરૂપ બિપિનના બાળપણના કેટલોક વારસો અમદાવાદના નિમ્ન મધ્યમવર્ગનાં વિસ્તાર અમરાઈવાડીમાં પસાર થયો. એમણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. અને પછી બી.એડ. કર્યુ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિવિધ વિભાગોમાં ડેપ્યુટી સેકશન ઑફિસરથી શરૂ કરીને એમણે અંડર સેક્રેટરી સુધીની કામગીરી કરી, વયનિવૃત્તિ અગાઉ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ અમદાવાદમાં પોતાની મનગમતી વાચન અને લેખનની પ્રવૃત્તિ કરે છે.

એમને સાહિત્યમાં બાળપણથી રસ સચિવાલયમાં ત્યાંના સાહિત્યપ્રેમીઓ દ્વારા ચાલતી અને દર ગુરુવારે જુદા જુદા સાહિત્યરસિકોને ત્યાં મળતી રાત્રી ‘બૃહસ્પતિ સભા’માં નિયમિત હાજરી આપતા. આ બૃહસ્પતિ સભાની રોજિંદી આવૃત્તિ જેવું એક મિલન લંચના (અરધા) કલાક દરમિયાન પણ થતું. એટલે સુધી કે બહારગામના જે મિત્રો રાતની સભામાં ન આવી શકે એ આ લંચઅવરમાં જરૂર આવે. આ બધો સમય સાહિત્યની ચર્ચાઓ તો ચાલે પણ દેશ અને દુનિયાની સાંપ્રત સમસ્યાઓની ઉત્તેજક ચર્ચા પણ થાય. ખાસ કરીને માર્ક્સના આકંઠ અભ્યાસી દિલિપ ચંદુલાલ અને ડંકેશ ઓઝાની ચર્ચાઓમાં વચ્ચેનાં વરસોમાં અમૃત ખત્રી પણ હોંકારો પુરાવતા. દિલિપ ચંદુલાલની સજ્જતા આપણા વિદ્વાન નવલરામથી અમેરિકન તત્ત્વજ્ઞાની નોસબોમ સુધીની. આ બધી ચર્ચાઓનો લાભ બિપિનને ભરપૂર મળ્યો એટલે બિપિન પહેલી વાર્તા ‘હોળી’ લઈને આવ્યા ત્યારે એમાં ઉત્સવના નામે જુદા વિચારો ધરાવતા એક Individualના અવાજને કચડી નાખવા ભેગા થયેલા સોસાયટીના રહીશોનું કથાવસ્તુ છે એ યોગાનુયોગ નથી.

બિપિનના અત્યાર સુધી ત્રણ વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયા છે, ‘દશ્મન’ (૧૯૯૯), ‘જે કોઈ પ્રેમ અંશ’ (૨૦૦૮) અને ‘વાંસનાં ફૂલ’ (૨૦૧૭). અહીં જે વાર્તાઓ સમાવી છે એમાં આ સંગ્રહો ઉપરાંત ૨૦૧૭ પછી લખાયેલી પણ હજી સુધી સંગ્રહિત ન થયેલી કેટલીક વાર્તાઓ એના તાત્કાલિક સમય સંદર્ભને લઈને સ્થાન પામી છે...

કિરીટ દૂધાત : સંપાદક

કિરીટ દૂધાતનો જન્મ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે તા. ૧/૧/૧૯૬૧ના રોજ થયો હતો. એમનું વતન અમરેલી જિલ્લાનું મોટા કણકોટ ગામ છે. એમનું માધ્યમિક શિક્ષણ મોસાળના ગામ કેરિયાચાડમાં થયું અને બાકીનું શિક્ષણ અમદાવાદ ખાતે મેળવ્યું છે. એમણે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. ૧૯૮૦માં સચિવાલય ગાંધીનગર ખાતે કારકુનની નોકરીમાં દાખલ થયા બાદ ૧૯૮૯માં નાયબ કલેક્ટરમાં જોડાયા. ૨૦૧૩માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ અમદાવાદ ખાતે વસે છે.

એમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘બાપાની પીંપર’ (૧૯૯૮) અને ‘આમ થાકી જવું’ (૨૦૦૮) એમના વાર્તાસંગ્રહો છે. એમણે ઘનશ્યામ દેસાઈ અને ચુનીલાલ મડિયાની ઉત્તમ વાર્તાઓનું સંપાદન કર્યું છે. તથા ૧૯૮૪ની ઉત્તમ વાર્તાઓનું સંપાદન કર્યું છે. હાલ તે ‘એતદ્‌’ નામના સામાયિકમાં સહસંપાદક તરીકે કામગીરી બજાવે છે.

એમને ઉમાશંકર પારિતોષિક, ધૂમકેતુ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ માટે પારિતોષિક મળેલાં છે.