ભદ્રંભદ્ર
રમણભાઈ નીલકંઠ
૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળે– ઈ.૧૯૦૦માં પ્રકાશિત થયેલી રમણભાઈ નીલકંઠની આ નવલકથા ‘ભદ્રંભદ્ર’ એક હાસ્યકથા તરીકે આજસુધી કાયમ રસપ્રદ રહી છે. એણે એક સાથે ઘણાં નિશાન તાકેલાં છે : અત્યંત જૂનવાણી રૂઢિગ્રસ્ત માનસ સામેનો આકરો કટાક્ષ, કેવળ સંસ્કૃતપ્રચુર રહેતી ને એથી દુર્બોધ રહેતી ભાષાની હાસ્યાસ્પદતાનું આલેખન, ઠઠ્ઠાપાત્ર બનતાં વિલક્ષણ પાત્રોનું સર્જન તથા એકમાત્ર સહજ અને અ-વિલક્ષણ પાત્ર અંબારામને મુખે ગુરુ ભદ્રંભદ્રના જીવનચરિત્રાત્મક વૃત્તાંત તરીકે કહેવાતી કથા. લેખક અને અંબારામ વચ્ચે કાલ્પનિક અભિન્નતા ઊભી કરતી આ નવલકથા ઊઘડતા પાનાની વિગતોથી જ એક લાક્ષણિક હાસ્યકથા તરીકે આરંભાય છે.
‘સનાતન આર્યધર્મ’ના ઉદ્ધાર માટે પોતે અવતાર લીધો છે એમ માનતા ભદ્રંભદ્રનાં આવેશભર્યાં ભાષણો ને એમનું સંપૂર્ણ અતાર્કિક વિચાર-વર્તન એમને સતત હાંસીપાત્ર કરતું રહે છે – એની લેખકે-અંબારામે ને ખુદ ભદ્રંભદ્રે પૂરેપૂરી કાળજી રાખી છે! એકબે પ્રસંગો-સંવાદો જોઈએ : અંબારામ સાથે ટ્રેનમાં મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર ટિકિટબારી પર કહે છે –‘શ્રીમોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ કૉર્ટમાં મેજિસ્ટ્રેટ અને એમની વચ્ચેનો સંવાદ : ‘તમારું નામ શું?’ ‘વિદ્યમાન ભદ્રંભદ્ર’ ‘તમારું નામ વિદ્યમાન અને તમારા બાપનું નામ ભદ્રંભદ્ર?’ ‘મારું નામ ભદ્રંભદ્ર છે પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’ છેલ્લા પ્રકરણનું શીર્ષક છે : ‘જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા’!
એ સમયે, કેટલાક સમકાલીન વિદ્વાનોને લક્ષ્ય કરીને એમની હાંસી કરાઈ છે એવા આરોપસર ‘ભદ્રંભદ્ર’ વિશે તીવ્ર વિવાદ થયેલો પણ એ સમયસંદર્ભ ખસી ગયા પછી, હવે આજે તો એને એક નરવી હાસ્યનવલ તરીકે આપણે માણી શકીએ છીએ. તો અંબારામની સહાયથી આ આકર્ષક કૃતિમાં પ્રવેશીએ–
–રમણ સોની
રમણભાઈ નીલકંઠ

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮): નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી.
‘કવિતા અને સાહિત્ય’(૪ ગ્રંથો,૧૯૦૪-૧૯૨૯)માં એમની સાહિત્ય-વિચારણાના તેમજ ગ્રંથવિવેચનના કેટલાક દીર્ઘ લેખો મૂલ્યવાન છે પરંતુ ‘ભદ્રંભદ્ર’ નવલકથા(૧૯૦૦) અને ‘રાઈનો પર્વત’ નાટક(૧૯૧૩) એમનાં યશસ્વી ને ચિરસ્મરણીય સર્જનકાર્યો છે.
‘ભદ્રંભદ્ર’ ગુજરાતીની આજસુધીની ઉત્તમ હાસ્યનવલ છે ને ભદ્રંભદ્રનું પાત્ર તો ગુજરાતી ભાષામાં વિચારજડતા અને દંભનો એક મૂર્તિમાન રૂઢિપ્રયોગ બનીને અમર થયેલું છે.
‘રાઈનો પર્વત’ સાધ્યની પ્રાપ્તિ માટે અશુદ્ધ સાધન અજમાવતી માતા જાલકા અને નીતિનિષ્ઠ રહેતા એના પુત્ર રાઈને કેન્દ્રમાં રાખતું, કથારહસ્ય અને નાટ્યસંઘર્ષના આલેખન-કૌશલવાળું તથા રચનામાં ભવાઈ, સંસ્કૃત નાટક અને પાશ્ચાત્ય નાટકનાં તત્ત્વો પ્રયોજતું પ્રભાવક શિષ્ટ દીર્ઘ નાટક છે.
‘હાસ્યમંદિર’(૧૯૧૫) રમણભાઈની નર્મમર્મશક્તિનો આહ્લાદક પરિચય કરાવતા હાસ્યનિબંધોનું પુસ્તક છે.
‘ગુજરાત સાહિત્યસભા’ના પહેલા પ્રમુખ તરીકે તેમજ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પહેલા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો કરેલાં.
વ્યવસાયે વકીલ રમણભાઈ સાહિત્ય અને સમાજનાં અનેક સંચલનોમાં સક્રિય રહ્યા હતા.
–રમણ સોની