અર્વાચીન કવિતા

ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’

૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો 'સુન્દરમ્'નો આ વિવેચનગ્રંથ છે. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા વહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.

—ચંદ્રકાન્ત ટોપીવાળા

('ગુજરાતી સાહિત્યકોશ'માંથી સાભાર)

ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે.

‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે.

સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે.

સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા

('ગુજરાતી સાહિત્ય પરિષદ'ની વેબસાઈટ ઉપરથી સાભાર)