અનોખી પ્રીત

ભોગીલાલ ગાંધી

જર્મન સાહિત્યની એક અતિ વિખ્યાત યુદ્ધકાલીન નવલકથા 'કાર્લ એન્ડ અના'નું રૂપાંતર અહીં 'અનોખો પ્રીત' રૂપે અને કવિવર ટાગોરકૃત નષ્ટનીડનો અનુવાદ 'વીંખાયેલો માળો'એ નામે રજૂ કર્યાં છે.

– ભોગીલાલ ગાંધી

ભોગીલાલ ગાંધી

ભોગીલાલ ચુનીલાલ ગાંધી ‘ઉપવાસી’ (જ. 26 જાન્યુઆરી 1911, મોડાસા; અ. 10 જૂન 2001, વડોદરા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. અમદાવાદ, મોડાસા, મુંબઈ તથા ભરૂચમાં શિક્ષણ લીધા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (1930) થયા. સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો જે દરમિયાન માર્કસવાદી સાહિત્યના સ્વાધ્યાયથી આકર્ષાયા અને કૉંગ્રેસ સમાજવાદી પક્ષ મારફતે અંતે સામ્યવાદી પક્ષમાં જોડાયા (1940). અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન તેમજ પક્ષની વડી કચેરી સાથે રહી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું.

સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર માસનો જેલવાસ થયો. (1949–51). આ પછી ઊંડા મનોમંથન અને વૈચારિક પુનર્મૂલ્યાંકનના આધારે તેમણે સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું (1956). ગાંધીમૂળિયાં ફેરફંફોસતાં લોકશાહી મૂલ્યોની રક્ષાનાં, સર્વોદયનાં ને જયપ્રકાશનાં આંદોલનો સાથે તેમનો નિકટ-નાતો બંધાયો. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે અગ્રભૂમિકા (1974–77) ભજવી.

ગુજરાતના કર્મશીલોમાં ભોગીભાઈની તરી આવતી વિશેષતા, વ્યક્તિ અને સમષ્ટિના સંબંધો તેમજ સમાજપરિવર્તનના સંદર્ભમાં વૈચારિક પર્યેષણા તથા ઊહાપોહપૂર્વક જ્ઞાનવિજ્ઞાનનાં સર્વ ક્ષેત્રોને સ્પર્શતી આજીવન લેખન-સંપાદન-પ્રકાશન પ્રવૃત્તિની છે. ‘વિશ્વમાનવ’ સામયિક (આરંભ 1958) અને સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના પ્રથમ સત્તાવીસ ગ્રંથ (1967–1990) આ સંદર્ભમાં ઉલ્લેખનીય લેખાશે.

એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર’ (1938); જીવનચરિત્રો ‘પ્રા. કર્વે’, ‘રાજગોપાલાચારી’, ‘મહામાનવ રોમા રોલાં’ (1958) અને ‘પુરુષાર્થની પ્રતિભા’(1939–1980)નો સમાવેશ થાય છે. કાવ્યસંગ્રહ ‘સાધના’ (1943) અને વાર્તાસંગ્રહ ‘પરાજિત પ્રેમ’ (1957) અને ‘લતા’ (1967) જેવા અપવાદો બાદ કરતાં એમનું ગ્રંથસ્થ સાહિત્ય બહુધા સ્વાધ્યાયલક્ષી લખાણોનું છે. ‘સોવિયેટ રશિયા’ (1947), ‘સામ્યવાદ’ (1948), ‘રશિયાની કાયાપલટ’ (1959), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (1964), ‘મહર્ષિ તોલ્સ્તોય’ (1983) જેવા પોતે તે વખતે અંગીકાર કરેલ મિશનને અનુરૂપ અભ્યાસગ્રંથો એમની પાસેથી મળ્યા છે. ‘સામ્યવાદી ચીન’, ‘સામ્યવાદી સાંસ્કૃતિક ક્રાંતિનો અભિશાપ’, ‘સામ્યવાદી બ્રેઇનવૉશિંગ’ અને ‘સામ્યવાદી આત્મપ્રતારણાને પંથે’ – આ ગ્રંથશ્રેણી (1965–67) એમની પક્ષીય વિચારણામાં ઉદભવેલી નિર્ભ્રાન્ત મનોદશાના નિર્દેશો આપે છે. ‘ઇન્દિરાજી કયા માર્ગે ?’ (1969) જેવા આવનારા દિવસોના આશ્ચર્યકારક એંધાણરૂપ સમકાલીન સમીક્ષા-પુસ્તકો, ‘નર્મદ – નવયુગનો પ્રહરી’ (1971) જેવા યુગસંદર્ભે ઉઠાવ પામતાં ચરિત્રો, ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (1982) જેવી પરામનોવૈજ્ઞાનિક નિરૂપણા સુધ્ધાંનો એમાં સમાવેશ થાય છે. ‘ચમત્કારિક શક્તિની શોધમાં’ (1983) એ જાદુ-મનોવિજ્ઞાન-ધર્મની ર્દષ્ટિઓને રજૂ કરતું પુસ્તક છે. ‘ઇસ્લામ–ઉદય અને અસ્ત’ (1984) એ બિનમુસ્લિમ પ્રજા ઇસ્લામથી સુપરિચિત બને એવા ઉદ્દેશથી લખાયેલી લેખમાળાનું સંકલન છે. તદુપરાંત, બંગાળી-અંગ્રેજી અનુવાદો પણ ખરા.

વીસમી સદીની વૈચારિક આબોહવાના આકલનની ર્દષ્ટિએ ‘મિતાક્ષર’ (1970) અને ‘પાથેય’ (1972) એમના નોંધપાત્ર લેખસંગ્રહો છે. પહેલામાં સાંસ્કૃતિક સાહિત્યિક અભ્યાસલેખો છે, જ્યારે બીજામાં એ પોતે જે વિચારમંથન અને પુનર્વિચારમાંથી પસાર થયા એના આલેખ જેવા ગાંધીવિચાર અનુલક્ષી લેખો છે.

— પ્રકાશ ન. શાહ

('ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર)